ખેરગામમાં કર્તવ્ય ગ્રુપ અને ભાજપ યુવા મોરચાના સંયુક્ત ઉપક્રમે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો, 57 યુનિટ રક્ત એકત્રિત
ખેરગામના રામજી મંદિર હોલ ખાતે અતુલ રૂલર ડેવલપમેન્ટ ફંડના સહયોગથી કર્તવ્ય ગ્રુપ તથા ખેરગામ તાલુકા ભાજપ યુવા મોરચાના સંયુક્ત ઉપક્રમે "રક્તદાન એ જ મહાદાન"ના સૂત્ર સાથે સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા. નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ નિરાલીબેન નાયક, ખેરગામ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ જીજ્ઞાબેન પટેલ સહિત અનેક મહિલાઓએ રક્તદાન કરીને નારી શક્તિનો સેવાભાવપૂર્ણ સંદેશ આપ્યો હતો.
કેમ્પમાં નવસારી જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ ડૉ. વિશાલભાઈ પટેલ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શૈલેષભાઈ ટેલર, મુસ્તાનશિર વોહરા, આશિષ દેસાઈ, રામજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ સંજયભાઈ, ટ્રસ્ટી અલ્પેશ ગજ્જર સહિત જિલ્લા અને તાલુકાના આગેવાનો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તમામ રક્તદાતાઓને સ્મૃતિભેટ અને થેલી અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
જિલ્લા ભાજપ યુવા મોરચાના મંત્રી સુરજભાઈ તથા તાલુકા પંચાયત સભ્ય ચેતનભાઈ પટેલના આયોજન હેઠળ યોજાયેલા આ રક્તદાન કેમ્પમાં કુલ 57 યુનિટ રક્ત એકત્રિત થયું. આયોજકોએ રક્તદાન કરનાર તમામ દાતાઓ, સહયોગીઓ અને ઉપસ્થિત મહાનુભાવોના આભાર વ્યક્ત કર્યો હતો તથા વધુમાં વધુ લોકો નિયમિત રક્તદાન માટે આગળ આવે તેવી અપીલ કરી હતી.














